Acts 4

1પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં ભક્તિસ્થાનના અગ્રેસર તથા સાદૂકીઓ તેઓ પર ધસી આવ્યા; 2કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું ઉત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા. 3તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા. 4તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઇ.

5બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ, 6તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફાસ, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરૂશાલેમમાં એકઠા થયા. 7પિતર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી, તેઓએ તેઓને પૂછ્યું કે, કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે?

8ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો, 9જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિષે જો આજે અમને પૂછવામાં આવે છે, કે તે શાથી સાજો કરાયો છે; 10તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને પરમેશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહયો છે.

11જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. 12બીજા કોઇથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.

13ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઇને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. 14પેલા સાજા થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઇને તેઓથી કંઈ વિરુધ્ધ બોલી શકાયું નહિ.

15પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ? 16કેમ કે તેઓના દ્વારા એક પ્રસિધ્ધ ચમત્કાર થયો છે, જેની યરૂશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી. 17પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈપણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ. 18પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને ચેતવણી આપી કે, વાત કરતાં તેમજ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.

19પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો. 20કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.

21પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધા; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] પરમેશ્વરને મહિમા આપતા હતા. 22કેમ કે જે માણસના હકમાં સાજાપણાનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.

23પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું. 24તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર [તમે છો]; 25તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે?

26પ્રભુની વિરુધ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુધ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા;

27કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુધ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા; 28જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.

29હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો; 30તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદ્દભુત કામો કરાવો. 31અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.

32વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી. 33પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.

34તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાની પાસે જમીન કે ઘર હતાં તેટલાએ તે વેચી નાખ્યાં, 35વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.

36યૂસફ કરીને એક લેવી હતો, તે સૈપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ (એટલે સુબોધનો દીકરો) રાખી હતી. તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.

37

Copyright information for GujULB